ગાંધીનગરને સોલર સિટી મતલબ કે સૂર્યનગરી બનાવવાની કલ્પના કરવા સાથે તેના માટેની યોજના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ અમલી બનાવી હતી. હવે આ યોજનાને વધુ વેગવાન બનાવવા માટે રાજ્ય સરકારે નવા બજેટમાં પ્રથમવાર 42 કરોડ જેવી જંગી રકમની જોગવાઇ કરી છે. આગામી દિવસોમાં પાટનગરમાં સરકારી શૈક્ષણિક સંકૂલો અને સરકારી સહાય મેળવતી સંસ્થાઓના મકાનના ધાબાઓ પર સોલર પેનલ લગાવીની વીજ ઉત્પાદ્દન કરવા માટેની યોજના હાથ ધરવામાં આવશે. સોલર સિટી પરિયોજના માટે 42 કરોડ ફાળવાયાં પાટનગરમાં હવે સરકારી શાળા-કોલેજ અને સંસ્થાઓનાં ધાબે વીજ ઉત્પાદન કરાશે શહેર આસપાસ બે સ્થળે આ યોજના અંતર્ગત 10 મેગાવોટના બે પાવર પ્લાન્ટ કાર્યાન્વિત કરવામાં આવ્યા છે અને રૂફટોપ પોલિસી અમલી કરવામાં આવી છે. જેમાં ખાનગી મિલકતધારક પણ પોતાના મકાનના ધાબા પર સોલર સિસ્ટમ લગાડાવીને વીજળીનું ઉત્પાદન કરી પોતાના ઘરમાં તેનો ઉપયોગ કરવાની સાથે જો વાપરતા વીજળી વધે તો તે સરકારને વેચીને કમાણી કરી શકે છે. આ ઉપરાંત છેલ્લા 5 વર્ષ દરમિયાન પાટનગર સ્થિત મોટા ભાગની સરકારી કચેરીઓના ધાબા પર સોલર પેનલ મૂકીને વીજ ઉત્પાદન કરાઇ રહ્યું છે. બીજી બાજુ સરકારી બંગલા ટાઇપ આવાસોમાં સોલર વોટર હિટર અને એક પંખો તથા બે ટ્યુબલાઇટ ચાલે તેવી ક્ષમતાની સોલર સિસ્ટમ લગાડવામાં આવી છે. રાજ્યકક્ષાના મંત્રી ગોવિંદભાઇ પટેલે મંગળવારે વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે ગાંધીનગરને સોલર સિટી અને કાર્બન ન્યુટ્રલ સિટી તરીકે વિકસાવવા માટે ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. તેના અંતર્ગત આ વખતના બજેટમાં 42 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે સરકારી માલિકીની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી સહાય મેળવતી સંસ્થા સંગઠનના પરિષર અને ધાબામાં સોલર સિસ્ટમ લગાડાશે. સત્રમાં ચર્ચા: રાજ્યનાં શૈક્ષણિક સંકુલો પર સોલાર સિસ્ટમ લગાવાશે વિધાનસભામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની બજેટેડ માગણીઓ પરની ચર્ચાના જવાબમાં સરકારે માહિતી આપી વર્ષે 1.32 મિલિયન યુનિટ વીજળી, 924 ટન કોલસાની બચત થશે રાજ્યમાં ઊર્જાની બચત અને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે ક્લાઇમેન્ટ ચેન્જ વિભાગ દ્વારા રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજો, મેડિકલ અને અન્ય કોલેજોની હોસ્ટેલો, નિવાસી આશ્રમ શાળાઓ, ધાર્મિક અને યાત્રિક સ્થળો તેમ જ સરકારી હોસ્પિટલોમાં સોલાર વોટર હીટિંગ સિસ્ટમ બેસાડવા માટે બજેટમાં 5 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સોલાર વોટર હીટિંગ સિસ્ટમના કારણે વર્ષે 1.32 મિલિયન યુનિટ વીજળીની બચત થશે. 1320 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટશે અને 924 ટન કોલસાની બચત થશે. વિધાનસભામાં ક્લાઇમેટ ચેન્જ વિભાગની બજેટેડ માગણીઓ પરની ચર્ચાના જવાબમાં મંત્રી ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ક્લાઇમેટ ચેન્જ વિભાગને વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટના અમલ માટે કુલ 80 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વિભાગ દ્વારા બિનપરંપરાગત અને પુન: પ્રાપ્ય ઊર્જા તેમ જ ઊર્જા સંરક્ષણના વ્યાપક વપરાશને પ્રોત્સાહન આપવા માટે તેમ જ કાર્બન સંગ્રહ માટે સોલાર ઉપકરણોનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાંધીનગર સોલાર સિટી માટે પણ 42 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. એલઇડી લાઇટ અને ટેકનોલોજી અપાશે સોલર પાવર ઉત્પન્ન કરવાની સાથે તેનો ઉપયોગ પણ ઓછી વીજ ખપત કરતાં સાધનો દ્વારા થાય તેના માટે સોલર સિસ્ટમ લગાડવાની સાથે ઉર્જા સંરક્ષણ માટે માર્ગો અને મકાનોમાં એલઇડી, ફ્લોરસેન્ટ અને ટી-5 લાઇટ આપવાની સાથે કાર્યદક્ષ ટેકનોલોજી અને જરૂરી સાધનો પણ પુરા પાડવામાં આવશે. બેટરી બેંક દ્વારા વીજ સંગ્રહની યોજના સૌર વીજળીના મહતમ ઉપયોગ માટે દિવસ દરમિયાન ઉત્પન્ન થતી વીજળીનાં સંગ્રહ માટે બેટરી બેંક ઉભી કરવામાં આવશે. સરકારી ઇમારતોમાં સોલર સિસ્ટમ લગાડાયા પછી મળતી વીજળી વાપરતા વધે તો તેનો સંગ્રહ બેટરી બેંકમાં કરીને ગ્રીડ દ્વારા અન્ય સ્થળે તેનો ઉપયોગ કરી શકાય તેવો હેતુ રખાયો છે. PDPUમાં એક્સેલેન્સ સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ સ્થપાશે સરકારે ક્લાઇમેટ ચેન્જ અંગે વિવિધ સંશોધનો માટે ગાંધીનગર ખાતે આવેલી પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી ખાતે એક્સેલેન્સ સેન્ટર ફોર ક્લાઇમેટ ચેન્જ સ્થાપવાની જાહેરાત પણ કરી છે. આ માટે બજેટમાં 5 કરોડની જોગવાઇ કરાઈ છે. તેમાં જળ સંશોધનો, કૃષિ અને દૂધ ઉત્પાદન, મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય, સમુદ્રના સ્તરમાં થતા ફેરફારો, હવામાનના બદલાતા પરિબળો વગેરે અંગે સંશોધન કરાશે. સ્ત્રોત : દિવ્ય ભાસ્કર