<div id="MiddleColumn_internal" style="text-align: justify; ">આખું જગત પીવાના પાણીની તંગીનો સામનો કરી રહ્યુ છે. પાણીજન્ય રોગોથી દરેક પાંચ સેકન્ડે એક બાળક મૃત્યુ પામે છે. પૃથ્વી ઉપર કુદરતે ૧૪૦ કરોડ ઘનમીટર પાણી આપેલું છે. તેમાનું ૯૭% પાણી દરયિામાં રહેલું છે માટે તે પીવા યોગ્ય નથી. આજના સમયમાં જગતની ત્રીજા ભાગની વસતિને પીવાલાયક પાણી મળી શકતું નથી. કૂવા અને બોરના તળ ઊંડા જવાથી તેના પાણી ખારા થઇ ગયા છે.<br /> પીવાનું પાણી જગત માટે સમસ્યા બની રહ્યું છે. તે સંઘર્ષનું કારણ પણ બનતું જાય છે. એવું નથી કે પૃથ્વી ઉપર પાણી નથી. પૃથ્વી જ એક એવો ખગોળપીંડ છે જેના ઉપર પ્રવાહી સ્વરૂપે પાણી ઉપલબ્ધ છે. ખરેખર તો પૃથ્વી ઉપર જીવન પાંગરવા માટેનું કારણ પણ પાણી જ છે અને એ જ પાણી જીવનનને ટકાવી પણ રાખે છે. ગિલસ્ટર્ન નામક એક વિદ્ઘાનના મત પ્રમાણે માનવ એક એવું જીવીત પ્રાણી છે જે રણોને નવપલ્લિત કરે છે. જળાશયોને સૂકવી નાખે છે<br /> એક અંગ્રેજી કહેવત યાદ આવે છે-વોટર, વોટર એવરીવહેર નોટ એ ડ્રોપ ટુ ડ્રીન્ક. અર્થાત સર્વત્ર પાણી છે પરંતુ એક પણ બુંદ પીવાલાયક નથી. આ વાત સર્વત્ર લાગુ પડે છે. હિન્દ મહાસાગર જેના પગે રહે છે તે ભારતના તામિલનાડુની રાજધાની ચેન્નાઇ શહેર પીવાના પાણીની તંગીથી પીડાઇ રહ્યું છે. જે ત્રણેય બાજુએથી પાણીથી ઘેરાયેલો છે એવો આપણો સૌરાષ્ટ્ર વિસ્તાર પીવાના પાણી માટે વલખા મારે છે.<br /> આપણા દેશમાં ઇ.સ. ૧૯૯૭માં પાણીનું લેવલ ૫૫૦ ઘન કિ.મી. હતું. તે પૈકીનું નદી, તળાવો વગેરેનું પાણી ૩૧૦ ઘન કિ.મી. હતું. આપણા આ પાણીનું લેવલ ઇ.સ. ૨૦૧૦માં ઘટીને ૪૮૦ ઘન કિ.મીં થઇ ગયું છે. આમ પાણી બાબતે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. હાલના સમયમાં લવણયુકત પાણીને સાદા પાણીમાં ફેરવવાની ટેકનોલોજિ અસ્તિત્વમાં છે પણ તે અતિ ખર્ચાળ છે. સરળ અને બિનખર્ચાળ ટેકનોલોજિની શોધ ચાલુ છે. આવો એક વિકલ્પ શોધી કાઢવામાં આવેલો છે. આ વિકલ્પ કુદરતી વનસ્પતિઓના છોડમાં રહેલા તંતુઓમાં છે. તેને અંગ્રેજીમાં ઝાયલેમ કહે છે અને ગુજરાતીમાં તેને જલવાહક પેશી તરીકે ઓળખવામાં આવે છે. છોડનું સંવહનતંત્ર ઝાયલેમ અને ફોલોએમનું બનેલું હોય છે. ઝાયલેમ જળવહન માટેની મુખ્ય પેશી છે. જયારે ફોલોએમ દ્રાવ્ય ક્ષારોનું વહન કરતી પેશી છે. આ બન્ને પેશી પોતાના સ્વભાવ પ્રમાણે પાણી અને ખનિજ ક્ષારોનું વહન છોડ દ્વારા લેવામાં આવેલા પાણી થકી છોડના અન્ય ભાગો સુધી વહન કરે છે.<br /> હાલમાં પીવાના પાણીની તંગી જોતાં પથ્થરમાંથી સોનું બનાવતાં પારસમણિની જરૂરિયાત કરતાં લવણમુકત પાણી બનાવતી ટેકનોલોજિ જેવા પથ્થરની જરૂરિયાત વધારે છે. ભારત જેવા દેશમાં ચોમાસા સિવાય મોટાભાગની નદીઓ સૂકાઇ જાય છે. તળાવોમાંથી પાણીનો મોટાભાગનો જથ્થો બાષ્પીભવન દ્વારા વાતાવરણમાં ભળી જાય છે. આથી પીવાના પાણી માટે સૌથી વધારે દબાણ ભૂગર્ભસ્રોતો ઉપર આવે છે. કૂવા અને બોર જેવા ભૂગર્ભસ્રોતોની ઊંડાઇ વધી જવાથી તેમાં દરિયાના પાણી ધસી આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો બોર એટલા ઊંડા ઉતરી ગયા છે કે, તેમાંથી મળતાં પાણીને ખનીજ પાણી તરીકે ઓળખવામાં આવે છે. <br /> દરિયાની ખારાશ જમીન ઉપર ફેલાવવાથી જમીનની ફળદ્રુપતા ઉપર પણ વિપરીત અસરો થાય છે. ઓદ્યોગિકરણ અને સીવરેઝ ગટરોને લીધે પાણીમાં ડહોળાશ, રસાયણો અને સૂક્ષ્મજીવોનું પ્રદૂષણ મોટા પાયે થાય છે. આવા પાણી પીવાથી બિમારી થાય છે અને આવી બિમારી કયારેક જીવલેણ પણ હોય છે. વિકસીત દેશોમાં તો પાણી પાઇપલાઇન દ્વારા ઘર બેઠા મળી રહે છે પણ પછાત દેશોમાં પાણી મેળવવા માટે અનેક ગણું દૂર જવું પડે છે. અમુક જગ્યાએ તળાવના ખુલ્લા પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે થતો હોય છે. આવું પાણી સીધું જ પીવુ જોઇએ નહી પણ તેને શુદ્ઘ કરી પછી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવું જોઇએ. પીવા માટે શુદ્ઘ પાણીએ માનવનો જન્મસિદ્ઘ અધિકાર ગણી શકાય. પાણીને શુદ્ઘ કરવા માટે આજે બજારમાં વિવિધ પ્રકારના ઉપકરણો મળી રહે છે. શુદ્ઘ કરેલું પાણી પીવાથી પાણીજન્ય રોગોથી બચી શકાય છે.<br /> લેખક વિનીત કુંભારાણા</div>